રામાયણ એટલે રામ+અયણ. મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રી રામજીના જીવનનું વર્ણન એટલે રામાયણ. હું પોતે પ્રભુ શ્રી રામજીની પરમ ભક્ત છું. આ મર્યાદાપુરુષોત્તમને શબ્દરૂપે કંડારવા એ મારા માટે ખૂબ અઘરું છે. કદાચિત મારી એટલી ક્ષમતા પણ નથી, તેમ છતાં પ્રભુ અને એમના જીવનકાળ દરમિયાન એમની સાથે વણાયેલા એક એક પાત્રને સમજીને મારી દૃષ્ટિએ એ પાત્રમાં પ્રાણ પુરવાની એક કોશિશ કરી છે. એમાં મારી કોઈ ક્ષતિ હોય તો ક્ષમત્વ.
આ રામાયણના પાત્રને સમજવા માટે મેં રામચરિત્ર માનસ અને વાલ્મીકિ રામાયણનું વાંચન કરીને હું જે રીતે એ પાત્રને સમજી એને સરળ રીતે સમજાવવાની એક પહેલ કરી છે.
કહેવાય છે કે જ્યાં રામકથાનું આયોજન અથવા તો જ્યાં રામજીનું નામ લેવાતું હોય ત્યાં હનુમાનજી હાજર જ હોય છે. એમાં કોઈ અતિશયોકિત નથી! આ મારો પોતાનો અનુભવ છે.
ખરેખર મિત્રો, જ્યારે આ રામાયણના દરેક પાત્રને હું મારી દૃષ્ટિએ શબ્દરૂપે કંડારવાની શરૂઆત કરતી ત્યારે શબ્દ આપોઆપ કંડારાય જતા અને જાણે કોઈ અદૃશ્ય શક્તિ મારો હાથ પકડીને લખાવતી હોય એવો અનુભવ થતો. લખતાં લખતાં મારી નજર સમક્ષ એ પાત્ર જ જાણે હાજર થઈને મને એ યુગમાં લઈ જતું. એ પાત્ર પોતે જ મને લખવાની પ્રેરણા આપતું.
ઘણીવખત એવું પણ થતું કે મારે લખવું કંઈ બીજુ હોય અને લખાયું કંઈ બીજુ હોય. રામાયણનાં બધાં પાત્રો સાથે હું પણ એ સમયને જીવી છું કદાચિત એટલે જ દરેક પાત્રને ન્યાય આપી શકી છું.
મેં રામાયણના પાત્રને લખવામાં એકદમ સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે, જેથી આવનાર પેઢી એ પાત્રની મહત્તા સમજી શકે.
રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.
રામજી - પિતૃઆજ્ઞા પાલન માટે હંમેશા તૈયાર.
રામ, ભરત - ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ વ્યક્ત કરે છે.
સીતાજી - પતિ વગર રાજ્યમાં રહેવું એના કરતાં પતિની સાથે જંગલમાં રહેવું વધુ યોગ્ય છે.